નીકો લાગત પુરૂષોત્તમ માસ

 

નીકો લાગત પુરૂષોત્તમ, જાકી મહિમા જગત બખાનત

કરત ભક્ત સબ જાકી આસ,આપ હી સૂરજ આપ હી ચંદા

આપ હી કો સબ પ્રકાશ આપ હી જોગ ભોગ સબ અરપત,

વેહી પ્રભુ મમ મન ઉલ્લાસ, જ્યો જ્યો દાન કરત પ્રભુ હિત

ત્યો ત્યો બઢત પ્રેમ કી આસ, સૂરદાસ પ્રભુ સબકે સ્વામિ

                                                       હૌં રાખો ચરન કે પાસ

     શ્રીમદ્ ભાગવત ગીતામાં લખેલું છે કે દરેક માસની સામે પુરુષોત્તમ માસ ને કોઈ દરજ્જો ન મળતા તે પ્રભુ પાસે જઈને વિનંતી કરવા લાગ્યો કે પ્રભુ એક તો હું ૩ વરસે એક વાર આવું છું, પરંતુ આપે મને કોઈ દરજ્જો આપ્યો નથી તેથી કોઇ મારું મહત્વ રહેતું નથીએટલે પ્રભુએ તેને જણાવ્યું. તારું પણ આગવું મહત્વ થશે... અને  હવેથી લોકો તને પુરૂષોત્તમ માસ તરીકે ઓળખશે,અને આ માસ નિમિત્તે લોકો તારા દરેક દિવસ ને પોતાના આગવા ભક્તિભાવ સ્વરૂપે ઉજવશે, અને તારા દિવસોમાં ભક્તિભાવ કરનાર ને હું અનેકગણું ફળ આપીશ, ત્યારથી પુરૂષોત્તમ માસના દરેક દિવસને એક મનોરથ તરીકે ઉજવાય છે. આવા પુરૂષોત્તમ માસમાં દર્શનનો લાભ મળે તે પણ અનન્ય હોય છે. આ માસમાં દરેક તિથીનું જે મહત્વ હોય તે રીતે જ ઉજવવામાં આવે છે. દાખલા તરીકે.. પુરુષોત્તમ માસની વદ આઠમને જન્માષ્ટમી તરીકે ઉજવવામાં આવે છે, પૂર્ણિમાના દિવસે રાસલીલાનો મનોરથ કરવામાં આવે છે વગેરે....... 

      શ્રીગુંસાઇજી પ્રભુચરણે સેવામાં સર્વ કલાઓમાં વિનિયોગ કરી એક ભવ્ય પરંપરા બાંધી જેમાં શૃંગાર,ભોગ,રાગ ની ત્રિવિધસેવાનો સમાવેશ થાય છે.પ્રણાલિકા અનુસાર આખા વર્ષ દરમ્યાન જુદા જુદા ઉત્સવો થતા રહે છે, પરંતુ બધા જ મનોરથો એક જ મહીનામાં ઉજવાય તેનો અલગ આનંદ છે માટે  જ આ માસ ને “મનોરથો નો માસ” કહેવાય છે. છે..શ્રીઠાકોરજીની વિવિધ લીલાઓની ઝાંખી કરાવતાં દર્શન એક સાથે થાય છે. આ માસ દરમ્યાન હવેલીઓમાં, મંદિરોમાં વર્ષભરમાં આવતાં તમામ ઉત્સવોની ઝાંખી એક સાથે થતી હોય છે.મહારાસ, રથયાત્રા, હિંડોળા-ઝૂલા, વિવાહ ખેલ, છાક, ફૂલમંડળી, બંગલા, કુનવારો, નંદમહોત્સવ, ચીરહરણ, દાનલીલા, વ્રજકમળ,મોરકુટિર, હટડી, ઝાંખી, માખણ ચોરી, ગૌચારણ લીલા, હોળી, દોલોત્સવ, ભોજનથાળી, દિપમાલિકા, પનઘટ, ગિરિકંદરા, ખટઋતુ, કમલાસન, ટેરકદમ, નૌકાવિહાર-નાવ મનોરથ, આંખમિચોલી, ખસખાના, ચંદનવાઘા, સ્નાનયાત્રા, બાગબગીચાના મનોરથો, વૃષભાનસદન, સઘનકંદરા, ચુંદડી મનોરથ, શ્રીનાથજીબાવાનું પ્રાગટ્ય, ચોર્યાસી સ્તંભ નો મનોરથ, વિશ્રામઘાટ, કુંજ નો મનોરથ, ઠકરાણી ત્રીજ, માનસી ગંગા, હરિયાળી બીજ, જલમહલ,કમલાસન, શ્રાવણ ભાદ્ર વગેરે મનોરથોના દર્શન થાય છે. આ ઉત્સવ દરમ્યાન પ્રભુ વિશિષ્ટ પ્રકારની સામગ્રી આરોગે છે.

      પ્રભુ ની અમુક લીલા જેમાં પ્રભુને શ્રમ પડયો અને વ્રજભક્તો ને ઉદ્વેગ થયો તેવા કાલિયદમન,દાવાનળ પાન વગેરે જેવી લીલાઓ ના મનોરથ કરવામાં આવતા નથી અધિકમાસમાં મોટાભાગના મનોરથો પ્રભુની બાળલીલાના થાય છે, પ્રભુએ વ્રજભક્તોને આનંદ આપવા જે લીલાઓ કરી તેનો મનોરથ થાય છે અને પુરૂષોત્તમ માસમાં દરેક વૈષ્ણવ ગોપીજનો ની ભાવનાથી દરેક મનોરથ કરીને અત્યંત પ્રભુને લાડ લડાવે છે.

પૂર્વી મલકાણ મોદી

© Purvi Malkan
[email protected]

 

Return to the Festival index

Return to main courtyard of the Haveli