ભગવાન શ્રીકૃષ્ણ

ત્રેતાયુગમાં રાક્ષસોનો વિનાશ કરવા માટે ભગવાન રામનો અવતાર થયો હતો તો દ્વાપરયુગમાં ભગવાન કૃષ્ણએ પૃથ્વી પર સત્ય અને ધર્મની મર્યાદાના પુનરોત્થાન માટે અવતાર ધારણ કર્યો હતો. દેવકીના ગર્ભમાંથી ઉત્પન્ન થયેલ વસુદેવ પુત્રની લીલાઓ અદ્વૈત હતી. કંસને મારવા માટે જેનો જન્મ થયો હતો,  તેને વસુદેવજી કંસના  ભયથી શ્રાવણવદ અષ્ટમીની મધ્યરાત્રીએ યમુનાના સામે કાંઠે વસેલા ગોકુલમાં નંદબાબાના ઘરે મૂકી આવ્યાં. પુત્રના રૂપમાં દેવકી નંદન શ્રીકૃષ્ણને મેળવીને યશોદાજીનું જીવન ધન્ય થઈ ગયું અને તે દિવસ પણ ઈતિહાસમાં ભાગ્યશાળી દિવસનું બિરુદ મેળવી ગયો અને દેવકીનંદન યશોદાનંદન બનીને ભક્તજનો, વ્રવાસીઓ અને વૈષ્ણવોને આનંદિત કરી રહ્યા.

મનમોહન ચાલવા લાગ્યા અને દોડવા લાગ્યા.દોડતા દોડતા સૌ વ્રજવાસીઓને દોડાવવા લાગ્યા. મનમોહનમાંથી નવનીત ચોર અને ચિત્તચોર થઈ ગયા. કારણ કે,  તેને ગોપિઓના ઉલ્લાસિત ભાવ સાર્થક કરવાના હતાં. આ લીલાની સાથે સાથે પોતાના ઘરમાં અને ગોકુળ ગામમાં માખણની ચોરી કરીને ધમાલ મચાવી પરંતુ ગોકુળની  ગલીઓમાં કૃષ્ણ આનંદ બનીને ઘેર ઘેરમાં ફરવા લાગ્યા. યશોદામૈયાએ કનૈયાને સાંબેલા સાથે બાંધીને તેને દામોદર બનાવી દીધા અને દમોદરરાયે  યમલાર્જુનનો ઉદ્ધાર કર્યો.

પરંતુ  કંસના બાળકનૈયાને મારવાના ઘાતકી પ્રયાસો પણ આ પ્રવાહમાં પ્રવાહિત થઈ ગયાં. પૂતના,  શકટાસુર,  વગેરે રાક્ષસો નિષ્ફળ થઈને પણ કનૈયાના હાથે મોક્ષ પામી ગયાં. પરંતુ ત્યારબાદ ગોકુલમાં રાક્ષસોનો ઉપદ્રવ વધતાં  નંદબાબા સહિત કૃષ્ણ તે ગોકુલ છોડીને વૃંદાવન જઈ વસ્યાં.

ગોકુલ, વૃંદાવન, નંદગાવ, ગોવર્ધન, યમુના-પુલિન,  વ્રજ-યુવરાજની મધુરિમ ક્રિડા વચ્ચે શ્રીકૃષ્ણ ગૌ પ્રતિપાલ બન્યાં. બીજી તરફ કંસના પ્રયત્નો પણ ચાલતા રહ્યાં. બકાસુર,  વત્સાસુર,  પ્રલમ્બાસુર ,  ધેનુકાસુર, અઘાસુર, વ્યોમાસુર, કેશી આદિ આવતા રહ્યાં, અને શ્યામસુન્દર બધા સુર, અસુરોનો મોક્ષ કરતાં ગયા.

વૃંદાવનમાં કાળીયા નાગને નાથિયો અને નાગદમન કહેવાયા. ઇન્દ્ર અને બ્રહ્માજીનો ગર્વ પણ ઉતાર્યો . ગોપાલે વ્રજવાસીઓને અન્યાશ્રમમાંથી બહાર કાઢીને શ્રી ગોવર્ધન ગિરિરાજજીનું નવું માહાત્મ્ય બતાવ્યું અને વ્રજવાસીઓ પાસે  ગોર્વધન પૂજન કરાવ્યુ. ઇન્દ્ર દેવે વરસાવેલા અતિવર્ષાથી ગિરિરાજને સાત દિવસ સુધી પોતાની ટચલી આંગળીએ ઉપાડીને વ્રજને બચાવી લીધું. કૃષ્ણની શક્તિ પર વારી ગયેલા દેવેન્દ્ર ઇન્દ્ર સુરભિ ગાયના દૂધ વડે પ્રભુ પર અભિષેક કર્યો અને  ગોવિન્દ તરીકેનો સ્વીકાર કર્યો. ઇન્દ્ર જેવા દેવનો ગર્વ ઉતાર્યો તેથી ઇન્દ્ર દમન અને બ્રહ્મા જેવા દેવનો ગર્વ ઉતારીને પ્રભુ દેવદમન બન્યાં .

ભગવાન શ્રીકૃષ્ણ વ્રજમાં કુલ 11 વર્ષ, ૫૨ દિવસ અને સાત ઘડી રહ્યાં હતાં આ સમયગાળા દરમિયાન તેમણે જે દિવ્ય લીલાઓ કરી, તે વૈષ્ણવ ભક્તજનોના જીવનપથને સાચાર્થને માર્ગે લઈ જાય છે. ગોકુલ વૃંદાવન છોડયા પછી તો શ્યામ કયારેય વ્રજ પધાર્યા જ નહી. હા એકવાર ઉદ્ધવજીને વ્રજમાં સંદેશો દેવા માટે મોકલ્યા હતાં અને ઉધ્ધ્વજી પણ ત્રણ દિવસ માટે મથુરાવાસી થઈને ગયા હતાં પરંતુ છ માસ બાદ તેઓ વ્રજમાંથી આવ્યા અને આવ્યાં  ત્યારે સંપૂર્ણ રીતે
વ્રજવાસી થઈને પાછા આવ્યા હતાં.

 શ્રીકૃષ્ણચન્દ્ર પૂર્ણપુરૂષોત્તમ લીલાવતાર તરીકે જાણીતા છે. ભગવાન વેદવ્યાસની વાણીએ શ્રીમદ્ ભાગવત ગીતામાં તેમની દિવ્ય લીલાને શબ્દો વડે કંડારી. જે આનંદ સારસ્વત યુગમાં ભગવાન શ્રી કૃષ્ણએ વ્રજવાસીઓને આપ્યો હતો તેજ આનંદનું દાન આચાર્યવર શ્રી વલ્લભાચાર્યજીએ સમસ્ત વૈષ્ણવોને દેવદમન શ્રીનાથજી દ્વારા કરાવ્યુ.

 

પૂર્વી મલકાણ મોદી

© Purvi Malkan
[email protected]

 

Return to the Festival index

Return to main courtyard of the Haveli